મોરબી: કારમાં અચાનક આગ લાગતા ઉદ્યોગપતિનું મોત, ગાડીમાંથી પાંચ લાખ રૂપિયા, પિસ્તોલ મળી

રાજ્યમાં અવાર નવાર કારમાં આગ લાગવાની ઘટના બને છે. ત્યારે મોરબીના લીલાપર નજીક કોઇ કારણોસર કારમાં આગ લાગી હતી. કારમાં સવાર ઉદ્યોગપતિ બહાર ન નિકળી શકતા મોત નિપજ્યું છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે પ્રમાણે મોરબીમાં રહેતા અને એક્સપર્ટ સિરામિક નામનું કારખાનું ધરાવતા અજય નાનજીભાઈ ગોપાણી પોતાની કાર લઈને મોરબીના લીલાપર કેનાલ રોડ પર પસાર થઈ રહ્યા તે દરમિયાન બપોરના સમયે કોઈ કારણોસર કારમાં આગ લાગી ગઈ હતી. જોતજોતામાં જ આખી ગાડી આગની ઝપેટમાં આવી ગઈ હતી. આગ લાગતા જ કારના દરવાજા લોક થઈ જતા ઉદ્યોગપતિ બહાર નીકળી શક્યા નહોતા. પરિણામે તેમનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. બીજી તરફ આ બનાવની જાણ થતા મોરબીની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.

મોરબી નગરપાલિકાના ફાયર અધિકારી દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગાડીમાં આગ લાગવાથી એક યુવાનનું મોત થયું છે. ગાડીમાંથી બોડી બહાર કાઢીને આગળની કામગીરી હાથ ધરી છે. તપાસ કરતા કારમાંથી રોકડા પાંચ લાખ રૂપિયા, આઠ મોબાઇલ, ઘડિયાળ તેમજ એક પિસ્તોલ મળી આવી છે.